હિમાલયનું સૌંદર્ય
કુદરતનો વિશાળ વૈભવ જોઈ હું દિગ્મૂઢ થઈ ગયો અને ગાવા લાગ્યો…. राम दयाधना. क्षमा करुनि मज पाही…. સાચે જ નકામું જીવન ગાળીને મેં માને ભારે મારી હતી. જનની જ નહીં, પણ જન્મભૂમિને પણ. મારા પાછલા જીવન ઉપર મનમાં તિરસ્કાર ઊપડ્યો.
અજ્ઞાનને લીધે હું વિદ્વત્તાની શેખી મારતો; પોતે અંધકારમાં રહ્યો રહ્યો લોકો આગળ પ્રકાશની વાતો કરતો. મેં ભજન આગળ ચલાવ્યું : करुणासागरा । राघवा मधुराजा ।
ભજનની ધૂન લાગી. હું ઊંચે સાદે લલકારતો હતો, હવે લીટી આવી… सच्चित्सुख तो तू परब्रह्म केवल… સામે પહાડે એકાએક ગર્જના કરી : सच्चित्सुख तो तू परब्रह्म केवल…
હિમાલયની તે મેઘગંભીર ગર્જના મને તો અશરીરિણી વાણી લાગી. સાચે જ હું સચ્ચિત્સુખાત્મક પરબ્રહ્મ છું એ વસ્તુને હું ભૂલી જાઉં છું તેથી પામર બનું છું. જુઓ, આ ધીરગંભીર હિમાલય કેવો સચ્ચિત્સુખની સમાધિ ભોગવી રહ્યો છે ! જુઓ સામેનો બરફ. એને ઉનાળોયે સરખો અને શિયાળોયે સરખો. જુઓ આ વિશાળ આકાશ. કેટલું શાંત અને અલિપ્ત ! શું એથી હું અળગો છું ?
– કાકાસાહેબ કાલેલકરના ‘પ્રવાસવર્ણન’-માંથી